Astrology

હનુમાન જયંતીના દિવસે બજરંગબલીના 12 નામનો જાપ કરવો જોઇએ, દરેક સંકટ દૂર થશે |

By ValsadOnline

April 27, 2021

27 એપ્રિલે હનુમાન જયંતી છે. ચૈત્ર પૂનમે બપોરે 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં ભગવાન હનુમાનજીનો જન્મ થયો હતો. બજરંગ બલીના અનેક નામ છે, પરંતુ તેમની સ્તુતિ માટે ખાસ કરીને 12 નામનો જાપ કરવામાં આવે છે. જેને હનુમાન દ્વાદશનામ સ્ત્રોત કહેવામાં આવે છે. આ નામનો જાપ ભક્ત અનેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે કરે છે.

હનુમાન દ્વાદશનામ સ્તોત્રમાં પહેલું નામ હનુમાન, બીજું નામ અંજનીસુત, ત્રીજું વાયુ પુત્ર, ચોથું મહાબલી, પાંચમું રામેષ્ટ એટલે ભગવાન શ્રીરામના પ્રિય, છઠ્ઠું નામ ફાલ્ગુણ સખા એટલે અર્જુનના મિત્ર, સાતમું પિંગાક્ષ એટલે જેમની આંખો લાલ અને સોનેરી છે, આઠમું નામ અમિત વિક્રમ એટલે જેમની વીરતા અથાક અને અપાર હોય, નવમું દધિક્રમણ એટલે એક છલાંગમાં સમુદ્ર પાર કરનારા, દસમું સીતાશોક વિનાશન એટલે માતા સીતાનું દુઃખ દૂર કરનારા, અગિયારમું લક્ષ્મણ પ્રાણદાતા એટલે લક્ષ્મણના પ્રાણ પાછા લઈ આવનારા અને બારમું નામ દશગ્રીવદર્પહા એટલે રાવણના ઘમંડને દૂર કરનાર.

સંપૂર્ણ હનુમાન દ્વાદશનામ સ્તોત્રઃ-

“હનુમાનન્જનીસૂનુર્વાયુપુત્રો મહાબલઃ। રામેષ્ટ: ફાલ્ગુનસખઃ પિંગાક્ષોઽમિતવિક્રમ:।।

ઉદધિક્રમણશ્ચૈવ સીતાશોકવિનાશનઃ। લક્ષ્મણપ્રાણદાતા ચ દશગ્રીવસ્ય દર્પહા।।

એવં દ્વાદશ નામાનિ કપીન્દ્રસ્ય મહાત્મનઃ। સ્વાપકાલે પ્રબોધે ચ યાત્રાકાલે ચ યઃ પઠેત્।।

તસ્ય સર્વભયં નાસ્તિ રણે ચ વિજયી ભવેત્। રાજદ્વારે ગહ્વરે ચ ભયં નાસ્તિ કદાચન।। “

અર્થઃ- હનુમાન, અંજની સુત, વાયુપુત્ર, મહાબલી, રામેષ્ટ, ફાલ્ગુણ સખા, પિંગાક્ષ, અમિત વિક્રમ, ઉદધિક્રમણ, સીતા શોક વિનાશન, લક્ષ્મણ પ્રાણ દાતા, દશગ્રીવ દર્પહા. વાનરરાજ હનુમાનના આ 12 નામનો જાપ સવાર, બપોરે, સાંજે અને યાત્રા દરમિયાન જેઓ કરે છે. તેમને કોઇપણ પ્રકારનો ભય રહેતો નથી, દરેક જગ્યાએ તેમને વિજય પ્રાપ્ત થાય છે.