History

શ્રીરામ ભગવાનનો જન્મ પુત્રકામેષ્ટિ યજ્ઞ દ્વારા થયો હતો

By ValsadOnline

April 21, 2021

હિંદુ કેલેન્ડર પ્રમાણે ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ શ્રીરામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે ત્રેતાયુગમાં આ તિથિએ પુનર્વસુ નક્ષત્રમાં શ્રીરામનો જન્મ થયો હતો. આ વર્ષે 21 એપ્રિલ, બુધવારે આ પર્વ ઉજવવામાં આવે છે. શ્રીરામના જન્મ સમયે ગ્રહોની શુભ સ્થિતિ સાથે દુર્લભ યોગ પણ બની રહ્યાં હતાં. આ દિવસે પાંચ ગ્રહ ઉચ્ચ રાશિમાં સ્થિત હતાં. સૂર્ય, મંગળ, બૃહસ્પતિ, શુક્ર અને શનિના ઉચ્ચ રાશિમાં સ્થિત હોવાથી રાજયોગ અને પંચમહાપુરૂષ યોગ પણ બન્યો હતો. આ ગ્રહોના શુભ પ્રભાવથી ત્રેતા યુગમાં રાજા દશરથને ત્યાં ભગવાન વિષ્ણુના અવતાર એટલે મર્યાદા પુરૂષોત્તમ સ્વરૂપે જ્ઞાની, તેજસ્વી અને પરાક્રમી પુત્રનો જન્મ થયો હતો.

રામ જન્મની કથાઃ-પૌરાણિક કથા પ્રમાણે ભગવાન રામનો અવતાર ત્રેતાયુગમાં થયો હતો. અયોધ્યાના રાજા દશરથે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો અને યજ્ઞથી ખીર પ્રાપ્ત કરી. દશરથે પોતાની પ્રિય પત્ની કૌશલ્યાને તે ખીર આપી. કૌશલ્યાએ તેમાંથી અડધો ભાગ કૈકેયીને આપ્યો, ત્યાર બાદ કૌશલ્યા અને કૈકેયીએ પોતાની ખીરમાંથી અડધો-અડધો ભાગ પત્ની સુમિત્રાને આપી દીધો હતો. આ ખીરના સેવનથી ચૈત્ર સુદ નોમના દિવસે પુનવર્સુ નક્ષત્ર તથા કર્ક લગ્નમાં માતા કૌશલ્યાની કોખથી ભગવાન શ્રીરામનો જન્મ થયો. તેવી જ રીતે કૈકેયીથી ભરત અને સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્નને જન્મ આપ્યો.

રામ નોમ કેવી રીતે ઉજવવીઃ-રામનવમીએ સવારે જલ્દી જાગીને સૂર્યને જળ ચઢાવવું. ત્યાર બાદ આખો દિવસ નિયમ અને સંયમ સાથે મર્યાદા પુરૂષોત્તમનું વ્રત કરવું. આ પર્વમાં ભગવાન શ્રીરામની જેમ મર્યાદામાં જીવન જીવવા માટે સંકલ્પ પણ લેવામાં આવે છે. ત્યાર બાદ ભગવાન રામ અને સીતા માતા સાથે જ ભગવાન લક્ષ્મણ અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. અનેક જગ્યાએ ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવે છે. ભગવાન રામની મૂર્તિને પારણાંમાં ઝુલવવામાં આવે છે. આ દિવસે રામચરિત માનસનો પાઠ કરવામાં આવે છે. માન્યતા છે કે, રામનોમના દિવસે ઉપવાસ રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને પાપનો નાશ થાય છે.

Source